ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, April 2, 2019

વ્યક્તિ પરિચય - શ્રી સ્વામિનારાયણ ભગવાન

👑 સર્વાંવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન 👑

📍 પ્રાગટ્ય: સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમ, સોમવાર (તા. ૦૩/૦૪/૧૭૮૧)
📍 પ્રાગટ્ય સ્થળ: ગામ – છપૈયા, તાલુકો - મનકાપુર, જિલ્લો - ગોંડા, રાજ્ય - ઉત્તરપ્રદેશ, ભારત
📍 પ્રચલિત નામ: હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ.
📍 માતાનું નામ: ભક્તિમાતા
📍 પિતાનું નામ: ધર્મપિતા
📍 ભાઈનું નામ: રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ
📍 બાલ્યકાળ: સંવત ૧૮૩૭થી સંવત ૧૮૪૯ – ૧૧ વર્ષ
📍 વનવિચરણ: સંવત ૧૮૪૯થી સંવત ૧૮૫૬ – ૭ વર્ષ
📍 સત્સંગ વિચરણ: સંવત ૧૮૫૬થી સંવત ૧૮૮૬ – ૩૧ વર્ષ
📍 સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય: સંવત ૧૮૫૮, માગશર વદ એકાદશી
📍 આશ્રિતગણ: ૨૦ લાખ હરિભક્તો અને ૩,૦૦૦ સંતો
📍 મંદિર રચના: પોતાની હયાતીમાં મોટાં મોટાં છ શિખરબદ્ધ મંદિરોની રચના કરી : અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, ગઢડા
📍 કરેલાં મહત્ત્વનાં કાર્યો:-
૧. સર્વે સંપ્રદાયોમાં શ્રેષ્ઠ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
૨. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરૂપ ‘શિક્ષાપત્રી’ ગ્રંથ અને સૈદ્ધાંતિક ગ્રંથ ‘વચનામૃત’ની ભેટ આપી તથા સંતો-હરિભક્તોનાં પંચવર્તમાન આપ્યા.
૩. તેઓએ આત્મા-પરમાત્માનું શુધ્ધ અને સર્વોપરી જ્ઞાન આપી પોતાની સનાતન સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી.
૪. તેઓએ પોતાનો સનાતન અને વિશિષ્ટ એવો ‘વિશિષ્ટાદ્વૈત’ સિધ્ધાંત આપ્યો.
૫. તેઓએ વર્તનશીલ અને ધર્મ-નિયમયુક્ત સંતોની રચના કરી, સંત-અસંતની ઓળખ કરાવી.
૬. પોતાના દિવ્ય સત્પુરુષો દ્વારા પરંપરાગત આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ ચાલુ રાખ્યો.
૭. તેઓએ સમાજમાં મહિલા વર્ગને એક અલગ અને આગવું સર્વોચ્ચ સ્થાન આપ્યું.
૮. તેઓએ સમાજના દૂષણરૂપ કેટલાક કુરિવાજો જેવા કે દૂધપીતી, સતીપ્રથા આદિ દૂર કર્યા.
૯. પોતાના અધૂરા સંકલ્પોને પૂર્ણ કરવા પોતાના મુક્ત ‘શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી’ સ્વરૂપે પ્રગટ થવાના આશીર્વાદ તથા મુક્ત સ્વરૂપે પ્રગટ થઈ પોતાની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપ્યું.
📍 અનુગામી: અ. મુ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી
📍 અંતર્ધાન: સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ (તા.૧ જૂન, ૧૮૩૦)
📍 અંતર્ધાન સ્થળ: ગામ - ગઢડા, તા. જિ. - બોટાદ, રાજ્ય - ગુજરાત, ભારત
📍 આલોકમાં દર્શન: ૪૯ વર્ષ, ૧૧ માસ, ૧ દિવસ (સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમથી સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ)

👑 સ્વામિનારાયણ ભગવાન અથવા સહજાનંદ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

👑 હાલ આ સંપ્રદાયનો વ્યાપ ઘણાં દેશોમાં વધ્યો છે, ખાસ કરીને તેમના બ્રિટિશ સરકાર સાથેના સંબંધ વધુ વિકસ્યા છે. આ સંપ્રદાયમાં હિન્દુ જ નહીં પણ મુસલમાન અને પારસીઓ પણ જોડાયા છે. શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મંદિરો તથા ૫૦૦ સન્યાસીઓ બનાવ્યા હતા. ૧૮૨૬માં તેમણે શિક્ષાપત્રી લખી અને ૧ જુન ૧૮૩૦ના દિવસે ગઢડા ખાતે તેમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ પહેલા તેમણે તેમના ભત્રીજાને આચાર્યપદે સ્થાપી સંપ્રદાયનો કારભાર સોંપ્યો.

👑 અનુયાયીઓ તેમણે કરેલા સમાજોત્થાન, સ્ત્રી કલ્યાણ, અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા બંધ કરાવવા જેવા કાર્યો માટે તેમનું પૂજન કરે છે. જ્યારે મહર્ષિ દયાનંદ વગેરે તેમની ભગવાન તરીકે પોતાને ઓળખાવવા માટે આલોચના પણ કરે છે. આજે આ સંપ્રદાયમાં લગભગ 2 કરોડ લોકો જોડાયેલા છે.

👑 જન્મ:-
અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું. તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાંડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાંડે હતું. તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા. અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.

📕 સંપ્રદાય સ્થાપન:-
👉 સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઈ જેવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ ભગવાને પોતાના અનુયાયી બનાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે શ્રી સ્વામિનારાયણ ભગવાને લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરવાની ચળવળ જગાવી. વળી તેમણે સતી પ્રથા, પશુબલિ અને વ્યસનોનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ લોકોને દિક્ષા આપી અને અનેક અનુયાયીઓ બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી. આ મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી.

📕 શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના:-
👉 સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામીને ઉદ્ધવજીનો અવતાર માને છે. તેમનો જન્મ વિ.સં.૧૭૯૫ (ઇ.સ.૧૭૩૫)માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું નાનપણનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી તેમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. તેઓ શ્રીરંગમમાં શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે કહેવાય છે કે સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યો સાથે વિખવાદ થતા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યા અને વૃંદાવન આવ્યા. શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા પણ તેમને વૃંદાવનમાં જ મળ્યા અને તેમની પાસેથી દિક્ષા લઈ તેમના શિષ્ય બન્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે અને તેમના કાર્યોને કલિયુગનો ઉદ્ધાર માને છે.

📕 નરનારાયણ દેવ, કાલુપુર, અમદાવાદ:-
👉 રેમન્ડ વિલીયમ્સ નામના ઇતિહાસવિદ્‌ની નોંધ મુજબ જ્યારે સ્વામિનારાયણ મૃત્યુ પામ્યા ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ૧૭ લાખ હતી અને આજે આ સંખ્યા બે કરોડ જેવી છે. વચનામૃતમાં તેમણે જણાવ્યા મુજબ, મનુષ્ય ભગવાનને પ્રત્યક્ષ જોઈ નથી શકતો તેથી ભગવાન અવતાર લઈ તેને દર્શન આપે છે. જો કે, પુરાવા તથા આધાર ન હોવા છતા, તેમના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે. સાંપ્રદાયિક વાર્તા મુજબ દુર્વાસાઋષિના શ્રાપ ને લીધે શ્રીહરિએ સ્વામિનારાયણ રુપે અવતાર લીધો એવું કહેવામાં આવે છે. વળી, કેટલાક અનુયાયીઓ તેમને કૃષ્ણના અવતાર પણ ગણાવે છે. સ્વામિનારાયણે પોતાને જ રેજીનાલ્ડ હેબર અને લોર્ડ બિશપ સમક્ષ કલકત્તા ખાતે ભગવાનનો અંશ ગણાવ્યા હતા.

📕 જીવન ચરિત્ર:-
👉 સ્વામિનારાયણ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ભણાવ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો. માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ત્યાર બાદ તેમણે વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો.

📕 રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા:-
👉 ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં.૧૮૫૭ કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા.૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં.૧૮૫૮ કાર્તિક સુદી એકાદશી (તા.૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું. સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી ૧૬ નવેમ્બર ૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી. સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન માગ્યાં:
તમારા ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને ભલે રુંવાડે રુંવાડે કોટિગણું થાઓ પણ તે ભક્તને ન થાઓ.
તમારા ભક્તનાં કર્મમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો પણ તે ભક્ત અન્નવસ્ત્રે દુ:ખી ન થાઓ.
રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને સહજાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા બાદ એક મહિના બાદ મૃત્યુલોક ત્યાગ્યો. (સં.૧૮૫૮ માગશર સુદ તેરસ તા.૧૭-૧૨-૧૮૦૧)

📕 સંપ્રદાયનો મત – વિશિષ્ટાદ્વૈત:-
👉હિંદુધર્મના સંપ્રદાયોમાં દરેક સંપ્રદાયને પોતાની તાત્વિક-સૈદ્ધાંતિક પીઠિકા હોય છે જેને મત પણ કહે છે. જીવ, માયા, ઇશ્વર, અક્ષર (બ્રહ્મ) અને પરમેશ્વર (પરબ્રહ્મ) વચ્ચેનાં પરસ્પર સંબંધનું સ્વરૂપ કેવું છે તે અંગેની માન્યતા એટલે મત. આ સૈદ્ધાંતિક માન્યતા કે મતની ભિન્નતાને લીધે જ વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વ છે. શ્રી સ્વામિનારાયણે પોતાના સિદ્ધાંત તરીકે શ્રી રામાનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈત મતનાં સિદ્ધાંતનું અનુમોદન કર્યું. પરંતુ રામાનુજાચાર્યના સિદ્ધાંતને તેમણે એક નવા આયામ સાથે સ્વીકાર્યો છે, જેને કારણે તેમના સિદ્ધાંતમાં તેમના દર્શનની એક આગવી છાંટ ઉભી થાય છે. મોક્ષ કે આત્યંતિક કલ્યાણની સ્થિતિમાં મુક્ત જીવ અને પરમેશ્વરના સંબંધના સ્વરૂપ અંગેનો આ પ્રકારનો ખ્યાલ વિશિષ્ટાદ્વૈત મતનું હાર્દ છે.

📕 આચાર સંહિતા:-
👉 સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગીઓના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બાહ્મણ હોય અને ત્યાગી બને તે બ્રહ્મચારી ગણાય છે. તેમના અને સાધુઓને પાળવાના નિયમો લગભગ એકસરખા છે. માત્ર બ્રહ્મચારી દેવસેવા કરે અને નીચેનું વસ્ત્ર સફેદ તથા ઉપરનું વસ્ત્ર ભગવું પહેરે તેવી પ્રથા છે. સાધુઓ ભગવા વસ્ત્ર પહેરે છે. પાર્ષદો સફેદ વસ્ત્રો પહેરે છે. ત્યાગીઓ માટે મુખ્યત્વે પાંચ નિયમો બતાવ્યા છે; નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ અને નિર્માન. વળી ગૃહસ્થનાં પણ દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે વટલાવવું નહીં એવા પાંચ નિયમો સૂચવ્યા છે.

📕 સંપ્રદાયના શાસ્ત્રો:-
1) શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણે સ્વયં સંવત ૧૮૮૨ મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં વ્યવહાર અને આચારની નિયમાવલી છે. શિક્ષાપત્રીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શ્રુતિ તરીકે માને છે.
2) વચનામૃત જુદાં જુદાં સ્થળે અને સમયે શ્રી સ્વામિનારાયણે તેમનાં અનુયાયીઓની સભામાં જે જ્ઞાનચર્ચા કરી તેમની વાણીનો સંગ્રહ છે. વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસાર છે. તેમાં ૨૬૨ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ કર્યું. અમદાવાદ દેશમાં પાછળથી નવા ૧૧ વચનામૃતો શોધાયા હતા. જેથી અમદાવાદ દેશમાં ૨૭૩ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે.
3) સત્સંગીજીવન સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં (જેને પ્રકરણ નામ અપાયા છે) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતાં પ્રથમ નંબરનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
4) ભક્તચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીએ લોકભોગ્ય ભાષામાં સત્સંગી-જીવન જેવો પણ સરળ ગુજરાતી પદ્યમાં ભક્તચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. તેમાં શ્રી સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવનવૃતાંત તથા તેમનું વિચરણ, સરળ અને ભાવવાહી શૈલીમાં, હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે.
5) સત્સંગીભૂષણ વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગીજીવન ધર્મપ્રધાન હોઇને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગીભુષણ ભક્તિપ્રધાન હોઇને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે.
6) શ્રી હરિદિગ્વિજય નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્ત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે.

👑 આ ઉપરાંત અનેક શાસ્ત્રોની રચના સંપ્રદાયના સંતોએ કરેલી છે. શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની પુષ્ટિ અને વૃદ્ધિ માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્રોને ખૂબ જ મહત્વ આપ્યું છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.